Saturday, December 9, 2017

આપણે અંદરથી કેટલા સાફ છીએ?

એક વાર એક નવદંપતી કોઈ ભાડાના મકાનમાં રહેવા ગયાં. બીજા દિવસે સવારે જયારે બંને ચા-નાસ્તો કરતા હતા ત્યારે પત્નીએ બારીમાંથી જોયું કે સામેના ઘરની અગાશી પર કપડા સુકવેલા હતા.
"લાગે છે આ લોકોને કપડા ધોતા પણ નથી આવડતું જુઓ તો કેટલા મેલા લાગે છે?" પત્ની બોલી.
પતિએ એની વાત સાંભળી પણ ખાસ ધ્યાન ના આપ્યું.
એક બે દિવસ પછી ફરી એજ જગ્યાએ કપડા સુકવેલા જોઈને પત્નીએ ફરી એજ કહ્યું, "ક્યારે શીખશે આ લોકો કે કપડા કેવી રીતે ધોવાય....!!"
પતિ સંભાળતો રહ્યો પણ આ વખતે પણ કંઈ બોલ્યો નહિ. હવે તો રોજ જ આમ થવા લાગ્યું, જયારે પણ પત્ની કપડા સુકાતા જોતી, જેમતેમ બોલવા લાગતી. લગભગ એક મહિના પછી એક સવારે પતિ-પત્ની રોજની જેમ જ ચા- નાસ્તો કરી રહ્યા હતા.
પત્નીએ હંમેશની જેમજ નજર ઉઠાવીને સામેની અગાશી તરફ જોયું , "અરે વાહ લાગે છે એ લોકોને સમજણ પડી ગઈ.... આજે તો કપડા બિલકુલ સાફ દેખાય છે, જરૂર કોઈ કે ટોક્યા હશે!"
પતિ બોલ્યો, "ના એમને કોઈએ નથી ટોક્યા."
"તમને કેવી રીતે ખબર? " ,પત્નીએ આશ્ચર્યથી પૂછ્યું.
"આજે હું વહેલો ઉઠી ગયો હતો અને મેં બારીના કાચને બહારથી સાફ કરી નાંખ્યો, એટલા માટે તને કપડા સાફ દેખાય છે." પતિએ વાત પૂરી કરી.

સાર:
જીવનમાં પણ આજ બાબત લાગૂ પડે છે: ઘણી બધી વાર આપણે બીજાઓને કેવી રીતે જોઈએ છીએ એ આપણા પોતાના પર આધાર રાખે છે કે આપણે અંદરથી કેટલા સાફ છીએ. કોઈના વિશે બુરું-ભલું કહેતા પહેલા પોતાની મનઃસ્થિતિ જોઈ લેવી જોઈએ અને પોતાની જાતને પૂછવું જોઈએ કે શું આપણે સામેની વ્યક્તિમાં કંઇક સારું જોવા તૈયાર છીએ કે હજુયે આપણી બારી ગંદી જ છે!

Originally posted on 21/12/2013 at https://brijeshbmehta.wordpress.com/2013/12/21/ઘણી-બધી-વાર-આપણે-બીજાઓને-ક/










No comments:

Post a Comment